Archive for the ‘વિચાર’ Category
આપણે ઘણાને કહેતા સાંભળીએ છીએ કે, ‘ભાઈ, મેં મારા જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે, સખત મહેનત કરી છે…’વગેરે…. પરંતુ જરાક ઊંડાણપૂર્વક વિચારીએ તો સમજાય છે કે પ્રત્યેક જીવ સંસારમાં આવે છે ત્યારથી તે સંઘર્ષ તો કરતો જ હોય છે. બાળક પ્રકાશનું પહેલું કિરણ જોવા પામે તે માટે તેણે ખાસ્સા નવ મહિના ગર્ભના અંધકાર સામે સંઘર્ષ કરવો પડતો હોય છે. બાળક બોલતાં ન શીખે ત્યાં સુધી પોતાની વાત માતા સુધી પહોંચાડવા માટે તેણે હાથપગ હલાવીને વાત સમજાવવાનો સંઘર્ષ કરવો પડે છે. ઊભા થવાનું અને ચાલવાનું શીખવા માટે એણે સતત સંઘર્ષ કરવો પડે છે. એ સંઘર્ષ દોડતા થવા સુધી લંબાતો જાય છે..
કહેવાનું તાત્પર્ય એ છે કે સંઘર્ષ કરવામાં કંઈ દુ:ખ કે નાનમ અનુભવવા જેવું નથી. ઘણું ખરું આપણે ઓછી આવકને કારણે થતા સંઘર્ષની કોઈક વાર ફરિયાદ કરતાં હોઈએ છીએ. પરંતુ એક ક્ષણ થોભીને વિચારીએ તો ખ્યાલ આવે છે કે જો કરોડોની મિલકત આમ જ વારસામાં આપણને મળી જાત તો એની કિંમત હોત ખરી ? શું કોઈ વસ્તુ ખરીદતાં પહેલાં આપણે એનો ભાવ પૂછત ખરાં ? શું પેટ્રોલ કેટલા રૂપિયે લિટર છે એની દરકાર રાખત ખરા ? એ રીતે ઘરનું ઘર બનાવવા માટે આપણા પિતાએ તનતોડ મહેનત કરી હશે. ઑવરટાઈમ કરીને ઉજાગરા વેઠ્યા હશે. ઘરનું સપનું સાકાર કરવા માટે મમ્મીએ પાઈ-પાઈની કસર કરી હશે અને ત્યારે જઈને કેટલાય સંઘર્ષ બાદ ઘરનો પાયો નંખાયો હશે. કદાચ એ કારણથી જ જિંદગીના પાછલા વર્ષોમાં તેઓ સંતોષ અને હાશ અનુભવતા હોય છે, કારણ કે તેમણે સંઘર્ષ જોયો છે. કોઈને પોતાના ઘરનું સરનામું આપતા તેઓ ગૌરવથી કહી શકતા હશે કે, અમારે ત્યાં આવજો… આ અમારા ઘરનું સરનામું છે… – અવાજની આ બુલંદીના પાયામાં કેટલાય વર્ષોનો સંઘર્ષ સમાયેલો હોય છે.
સંઘર્ષ સાથે અનાયાસે પીડા જોડાયેલી હોય છે પરંતુ પીડા વગર સર્જનનો આનંદ ક્યારેય પ્રાપ્ત થતો નથી. પીડાના સમયમાં આપણે ઈશ્વરની સમીપ હોવાની અનુભૂતિ કરી શકીએ છીએ. આપણા સંઘર્ષનું પરિણામ એ ઈશ્વરની પ્રસાદી છે. પ્રસવની પીડા સહન કર્યા બાદ પ્રથમવાર બાળકને હાથમાં લેતાં માતાને જે આનંદ થતો હશે, એને શબ્દોમાં વર્ણવી શકાય ખરો ? એ તો મા જ કહી શકે. એ રીતે કોઈ કલાકારને પણ સતત સંઘર્ષ કરવો પડતો હોય છે. ક્યારેક પોતાની સાથે તો ક્યારેક પોતાના વિચારોની સાથે. આ મથામણ બાદ યથાયોગ્ય સમયે કોઈ ઉત્તમ કલાકૃતિ તેના હાથે અવતરીત થતી હોય છે. દરેકને કોઈને કોઈ સ્વરૂપે આ સંઘર્ષની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તેથી સંઘર્ષથી પરિસ્થિતિમાં દુ:ખી થવા કરતાં તેને આનંદથી સ્વીકારીને આગળ વધીએ તો કદાચ એ લાંબો સમય ટકી નહીં શકે.
સંઘર્ષથી શરૂ થતી યાત્રા વચ્ચે ઘણા સ્ટેશને ઊભી રહે છે પણ તેનું અંતિમ સ્ટેશન તો આનંદ અને સંતોષ જ હોય છે.
(પ્રકાશિત – રીડગુજરાતી)

